Wednesday, July 29, 2009

Upcoming Hindu important religious dates

Wednesday, July 29 , 2009 - Durgasthami
Saturday, August 1, 2009 - Pavitra Ekadashi or Putrada Ekadashi
Monday, August 3, 2009 - Pradosh
Wednesday, August 5, 2009 - Rakshabandhan
Friday, August 7, 2009 - Hindola ends
Sunday, August 9, 2009 - Phoolkajli vrat
Tuesday, August 11, 2009 - Nag pancham
Wednesday, August 12, 2009 - Randhanchat
Thursday, August 13, 2009 - Sheetlasatam
Friday, August 14, 2009 - Janmasthami
Saturday, August 15, 2009 - Nand Mahotsav, India's Independence Day
Monday, August 17, 2009 - Aja Ekadashi
Tuesday, August 18, 2009 - Pradosh
Wednesday, August 19, 2009 - Pateti - Parsi New Year
Thursday, August 20, 2009 - Shravan Maas ends, amavasya

Friday, August 21, 2009 - Bhadarvo Maas begins

Thursday, July 23, 2009

Shravan Mahina - Reading

શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રાવણમાસની ઉજવણી
શ્રાવણ માસમાં શિવની પૂજા કરવાથી મોટે ભાગે સઘળા દેવતાઓની પૂજાનું ફળ મળી જાય છે. આ માસ દરમિયાન હાલના દેવોના ભગવાન શિવની પૂજા કરવી, કથા સાંભળવી તથા પુરણોનું શ્રવણ કરવું એ ઉત્તમ ગણાય છે. આની સાથે ખરાબ વિચારોને ત્યાગ કરી સ્વભાવમાં નમ્રતા દાખવી ધીરજ અને નિષ્ઠાપૂર્વક ભાગવત કથાનું શ્રવણ કરવું જોઈએ. બ્રહ્મસેવા કરી, બ્રહ્મચર્યનું પાલન કરી તપસ્વી વૃત્તિમાં લીન રહેવું જોઈએ. આ માસનું મહાત્મ્ય સાંભળવા માત્રથી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માટે જ તેને શ્રાવણ માસ કહ્યો છે. પૂર્ણમાસીને શ્રવણ નક્ષત્રનો યોગ હોવાના કારણે પણ આ માસ શ્રાવણ માસ કહેવાય છે.

આ માસની સંપૂર્ણ કલાને કેવળ બ્રહ્મજી જ જાણે છે. આ માસના કુલ ત્રીસ દિવસ વ્રત અને પુણ્ય કાર્યોને માટે જ હોય છે. ભગવાન શિવને આ માસ ઘણો જ પ્રિય છે.

આ માસ નિયમ અને સંયમપૂર્વક તપ કરતા કરતા વ્યતિત કરવો. એક માસ સુધી રુદ્રાભિષેક કરવો, રુદ્રાક્ષની માળા ધારણ કરવી તથા તેનાથી ઓમ નમઃ શિવાય નો જય કરવો. વ્રતીએ આ માસ દરમિયાન પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુનો ત્યાગ કરવો. પુષ્પ, તુલસીદલ, ફળ, ધાન્ય અને બીલીપત્રથી મહાદેવની પૂજા કરવી જોઈએ. ભૂમિ પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, જૂઠું બોલવું નહીં. પ્રાતઃકાળે સ્નાન વિધિ પતાવી એકાગ્રચિત્તે સૂકનનો પાઠ કરવો જોઈએ. આ માસ દરમિયાન કોટિહોમગ્રહ યજ્ઞા કરવાથી મનોવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસમાં વારોનું મહત્ત્વ :
શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૃ કરી નિરંતર કરવામાં આવનારું વ્રત સઘળી મનોકામનાઓ પૂરી કરે છે. સોમવારનું વ્રત રોટક, મંગળવારનું વ્રત મંગલાગૌરી, બુધવારનું બુધવ્રત, બૃહસ્પતિનું બૃહસ્પતિ વ્રત, શુક્રવારનું જીવંતિકા વ્રત, શનિવારનું હનુમાનયા નૃસિંહ વ્રત અને રવિવારનું સૂર્ય વ્રત કહેવાય છે.

શ્રાવણ માસમાં તિથિઓનું મહત્ત્વ :
શ્રાવણ માસમાં ઘણાં બધાં વ્રતો કરવામાં આવે છે. સુદ બીજનું ઓદુંબર વ્રત, ત્રીજનું ગૌરીવ્રત, ચોથનું દૂર્વા ગણપતિ વ્રત (તેને વિનાયક ચોથ પણ કહે છે.) પાંચમનંુ નાગપંચમી વ્રત, છઠનું સૂયૌદન વ્રત, સાતમનું શીતળાદેવી વ્રત, આઠમનું અને ચૌદસનું દેવી વ્રત, નોમનું નહન વ્રત, દશમનું આશા વ્રત, અને બારસના વ્રતને શ્રીધર વ્રત કહે છે. માસની અંતિમ તિથિ પૂર્ણમાસી વિસર્જન કરી સઘળી સ્ત્રીઓ સૌથી પહેલાં પોતાના ભાઈના જીવનના રક્ષણ માટે રક્ષાબંધન બાંધે છે.


પ્રતિપદાથી અમાસ તિથિ સુધી કરવાના ઉપવાસોનું દેવ-દેવીઓ પણ ભિન્ન-ભિન્ન હોય છે. પ્રતિપદાને દિવસે કરવામાં આવતા વ્રતને દેવતા, અગ્નિ, બીજના બ્રહ્મા, ત્રીજના ગૌરી, ચોથના વિનાયક, પાંચમના સર્પ, છઠના સ્કંદ, સાતમના સૂર્યો, આઠમના શિવ, નોમના દુર્ગા, દશમના યમ, અગિયારસના વિશ્વેદેવ, બારસના શ્રી નારાયણ, તેરસના રતિપતિ કામદેવ, ચૌદસના શિવ પૂર્ણમાસીના ચંદ્રદેવ અને અમાસ માટેના વ્રતના આરાધાદેવ પિતૃ છે.

રુદ્રી પાઠનું મહત્ત્વ :
શિવપૂજાનો સર્વપ્રથમ સંકલ્પ કરવો તે પછી શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવી નિષ્ઠાપૂર્વ ઓમ નમઃ શિવાય નો જાપ કરવો, યોગ્ય બાહ્મણ દ્વારા રુદ્વાષ્ટધ્યાયીનો પાઠ કરાવવો અને તેનું શ્રવણ કરવું રીુદ્રના એક પાઠથી લાલ ગ્રહોની શાંતિ થાય છે. ત્રણ પાઠથી ઉપદ્રવની શાંતિ થાય છે. પાંચ પાઠથી ગ્રહોની, સાત પાઠથી ભયની, નવ પાઠથી સઘળા પ્રકારની શાંતિ ને વાજપેઇ યજ્ઞાની પ્રાપ્તિ, અગિયાર પાઠ કરવાથી એક રુદ્રનો પાઠ થાય છે. ત્રણ રુદ્ર પાઠ થકી કામનાની સિદ્ધિ અને શત્રુઓનો નાશ થાય છે. પાંચ પાઠથી શત્રુ અને સ્ત્રીનું વશીકરણ, સાત પાઠથી સુખની પ્રાપ્તિ, નવ પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આમ આ રીતે નવ રુદ્રોથી એક મહારુદ્રનું ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન શંકરનું શ્રેષ્ઠ દ્રવ્યોથી અભિષેક કરવાનું ફળ :
જળ અર્પણ કરવાથી વર્ષાની પ્રાપ્તિ, કુસાનું જળ અર્પણ કરવાથી શાંતિ, દહીંથી પશુ પ્રાપ્તિ, શેરડીના રસથી લક્ષ્મીની પ્રાપ્તિ, મધ અને ઘીથી ધનની પ્રાપ્તિ, દૂધથી પુત્ર પ્રાપ્તિ, જળની ધારાથી શાંતિ, એક હજાર મંત્રો સહિત ઘીની ધારાથી વંશની વૃદ્ધિ અને કેવળ દૂધની ધારા અર્પણ કરવાથી પ્રમેહ રોગમાંથી મુક્તિ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોરસ ભેળવેલ દૂધ અર્પણ કરવાથી બુદ્ધિ નિર્મળ બને છે. સરસિયાના કે તલના તેલથી શત્રુનો નાશ થાય છે અને રોગમાંથી મુક્તિ મળે છે. તથા પાપનો ક્ષય થાય છે. પુત્રાર્થને ભગવાન સદા શિવના અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તોની સઘળ મનોકામના પૂરી કરે છે. રુદ્રાભિષેક પછી અગિયાર ર્વિતકાઓ પ્રજ્જવલિત કરીને આરતી ઉતારવી જોઈએ. આમ ભગવાન શિવમાં ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. કમળપત્ર, બીલીપત્ર, શનપત્ર અને શંખપુષ્પી દ્વારા પૂજન કરવાથી ધન - ધાન્યની પ્રાપ્તિ થાય છે.
************************************************************************************
baar જ્યોતિર્લિંગનું મહાત્મ્ય
શિવની પૂજા-ઉપાસનાના વિવિધ રૃપ દેશભરમાં ફેલાયેલ અનેક મંદિરોમાં જોવા મળે છે. આમાંથી બાર જ્યોતિર્લિંગને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિર્લિંગના સ્વરૃપમાં શિવજયોતિ અને અગ્નિના રૃપમાં પૂજવામાં આવે છે. આ પ્રકારના જ્યોતિર્લિંગને દેવી રૃપમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે છે. પ્રત્યેક જ્યોતિર્લિંગની તેના મહત્ત્વની કથા વણાયેલી છે. દેશના જુદા જુદા ખૂણાઓમાં બાર જ્યોતિર્લિંગો ફેલાયેલા જોવા મળે છે.

સોમનાથ : બાર જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલ સોમનાથનું મંદિર છે. અહીંના શિવલિંગની જાણીતી કથા એવી છે કે સોમ(ચંદ્રમાનું માનવીય રૃપ) જે ચંદ્રમાના નામથી પણ ઓળખાય છે. તેના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રીઓની સાથે કરવામાં આવ્યા. જેમાં સોમ રોહિણીને વધુ ચાહતો હતો. આથી બાકી બહેનોએ ચંદ્ર અંગે દક્ષને ફરિયાદ કરી. આથી દક્ષે સોમને યક્ષ્મા નામનો રોગ થવા અંગે શાપ આપ્યો. ત્યારબાદ સોમે દક્ષની માફી માગી. દક્ષે સોમ અને રોહિણીને આ સ્થાન પર શિવતપ કરવાનું કહ્યું . બંને જણે વર્ષો સુધી શિવનું તપ કર્યુ એટલે શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ચંદ્ર મહિનામાં પંદર દિવસ વધશે અને પંદર દિવસ ઘટશે. તે સાવ ક્ષય પામશે નહીં. સોમે ત્યારબાદ તે જગ્યા પર લિંગની સ્થાપના કરી. આથી તે સ્થાન સોમનાથ તરીકે જાણીતંુ થયું.

મલ્લિકાર્જુન : મલ્લિકાર્જુન તીર્થ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કિનારે આવેલ છે. અનેક સદીઓ પહેલાં એક ગોપાલકના છોકરાને લિંગ પર રહીને દૂધની ધાર છોડતી ગાય જોવા મળી હતી. એ રાતે ગોપાલકને સ્વપ્નમાં તે શિવલિંગ દેખાયું . તેણે તેના પર એક નાનું મંદિર બનાવ્યું. તે શિવલિંગ પર વન મલ્લિકા સોનજૂહીના ફૂલ ચઢાવ્યાં તેથી તેનું નામ મલ્લિકાર્જુન પડયું.

મહાકાલેશ્વર : પવિત્ર એવી ક્ષિપ્રા નદીને કિનારે આવેલ ઉજ્જૈન નગરમાં મહાકાલેશ્વર શિવ મંદિર આવેલું છે. મધ્યપ્રદેશનાં મુખ્ય ર્ધાિમક આકર્ષણોમાં તેનો સમાવેશ થાય છે. ર્ધાિમક લોકકથા અનુસાર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ જગ્યાએ મળ્યા હતા. આ નગર જ્યારે રાક્ષસથી ત્રસ્ત હતું ત્યારે શિવ મહાકાલ સ્વરૃપે પ્રગટ થયા અને રાક્ષસોને ભસ્મ કરી દીધા હતા ત્યારથી તે જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર તરીકે જાણીતું છે.

ઓમકારેશ્વર : નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાન પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે. અહીં એક માઈલ લાંબો અને અડધો માઈલ પહોળો ટાપુ છે. સવાર-સાંજ અહીં આરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને શિવલિંગની પૂજા કરે છે. સૂર્યવંશના રાજા માંધાતાએ આ જગ્યાએ સો યજ્ઞા કરાવ્યા હતા ત્યારથી આ સ્થાનનું મહત્ત્વ વધી ગયું હતું .

કેદારનાથ : ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે. એવી કથા છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા. કુરુક્ષેત્રમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોએ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવની કાશીમાં આરાધના કરી પરંતુ શિવે પાંડવોની પરીક્ષા કરવા કેદારનાથ આવીને નંદીનું રૃપ ધારણ કરી લીધું હતું . ભીમે તેમને ઓળખી લીધા અને પીછો કર્યો પરંતુ શિવજી ત્યાંથી કૂદીને અંતરધ્યાન થઈ ગયા. ત્યાં માત્ર નંદીનાં ખરીનાં નિશાન રહી ગયાં. જ્યાં આજે શિવલિંગ ઊભું છે. આદિ શંકરાચાર્યનું આ મહત્ત્વનું સ્થાન રહ્યું હતું.

ભીમશંકર : મહારાષ્ટ્રમાં ખેડની નજીક ભાવગિરિમાં ભીમશંકરની જગ્યા આવેલી છે. તે ભીમ નદીનું ઉદ્ગમ સ્થાન છે. જે અહીંથી દક્ષિણ-પૂર્વ વહેતા રાયપુરની નજીક કૃષ્ણા નદીને મળે છે. કથા એવી છે કે શિવજીએ અહીં સહ્યાદ્રિ પર્વતના શિખર પર ભીમના રૃપમાં નિવાસ કર્યો હતો. આથી આ સ્થાન ભીમશંકર તરીકે જાણીતું છે.

કાશીવિશ્વનાથ : કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે . કાશીમાં સ્થાપિત જ્યોતિર્લિંગ બ્રહ્માંડીય ડિંબના રૃપમાં પૂજવામાં આવે છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી. કાશી આમ પણ ચારધામમાંનું મહત્ત્વનું ધામ છે. જ્યાં સાક્ષાત્ ભગવાન વિશ્વનાથ બિરાજે છે.

ત્ર્યંબકેશ્વર : ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે. અહીંના શિવલિંગની ઉત્પત્તિની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપો દૂર કરવા માટે ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. લોકો મહારાષ્ટ્રમાં નાસિક, શિરડી અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ખૂબ જાય છે.

વૈદ્યનાથ : મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે. અહીંના શિવલિંગની સ્થાપના ઋષિ માર્કંડેયની કથા સાથે વણાયેલી છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવ દિવ્ય ચિકિત્સક વૈદ્યનાથ તરીકે આ જગ્યાએ પ્રગટ થયા હતા આથી તે સ્થાન વૈદ્યનાથધામ તરીકે ઓળખાયું હતું.

રામેશ્વરમ્ : તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ સ્થાન ભગવાન રામ અને શિવજીના મહિમાને અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે રામે રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે અહીં દરિયાકિનારે માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક રાજાઓેએ તેનું સમારકામ અને નિર્માણકામ કરાવેલું છે.

ઘુશ્મેશ્વરમ્ : ઘુષ્મેશ્વરમ્ કે ઘુશ્મેશ્વરમ્ મહારાષ્ટ્રમાં ઈલોરાની ગુફાઓ નજીક આવેલું પ્રાચીન તીર્થ છે. આ સ્થાન સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ઘુષ્મા નામની સ્ત્રીની શિવભક્તિને કારણે તેના પુત્રને શિવજીએ બચાવ્યો હતો તેથી તેનું નામ ઘુશ્મેશ્વર પડયું હોવાનું કહેવાય છે. આ તીર્થસ્થાન ઓછું જાણીતું છે પરંતુ તેનું મહત્ત્વ અને મહિમા જરાય ઓછો નથી.

નાગેશ્વર : નાગેશ્વર તીર્થ દારુકા વનમાં આવેલું હોવાનું કહેવાય છે. આજની એ જગ્યા દ્વારકા પાસે આવેલી છે. આજે તો આ તીર્થ ભવ્ય બનાવવામા આવેલ છે. ભગવાન શિવે અહિ દારુકા નામના અસૂરનો વધ કર્યો હતો. શિવ જ્યારે આ જગ્યા પર આવ્યા ત્યારે નાગને તેમણે ગળામાં ધારણ કરેલ હતો તેથી તેઓ નાગેશ્વર કહેવાયા. એવું પણ કહેવામા આવે છે કે પહેલાના જમાનામા અહિ નાગ ખૂબ જોવા મળતા હતા આથી તે નાગેશ્વર ની જગ્યા કહેવાય છે. ભગવાન નાગેશ્વર અને નાગેશ્વરી દેવી પાર્વતી પણ અહિ બિરાજતા હોવાનું કહેવાય છે.
**********************************************************************************
પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના
ભગવાન શિવના સ્વરૃપના પ્રતીકરૃપે હજારો વર્ષથી શિવલિંગની પૂજા થતી રહી છે. શિવલિંગની પૂજા સ્વયંભૂ અર્થાત્ સ્વયં ઉત્પન્ન પથ્થરના રૃપમાં કરવામાં આવે છે. શિવલિંગ એ પરમ પુનિતતાનું પિંડ છે. તે કોઈ પણ પદાર્થ જેમ કે માટી, ધાતુ, કિંમતી પથ્થર કે પારાનું પણ હોઈ શકે છે. નર્મદા નદીના કિનારે આવેલ ઓમકારેશ્વર જેવાં સ્થાનો પર તે સ્ફટીકરૃપે મળી આવે છે. પુણ્ય અગ્નિ સ્તંભ સ્વરૃપ પવિત્ર લિંગ શિવની અપ્રતિમ શક્તિનો ભંડાર છે. શિવ જ્યોતિર્મય સૌંદર્યને સાકાર કરતું આ દિવ્યલિંગ દૈવી સ્તંભ તરીકે પણ ર્ચિચત છે. સંસારના ઉદ્ગમ તેમજ ઉત્પત્તિના મૂળ સ્વરૃપ હોવાને કારણે તે સમાજનો આધારસ્તંભ કહેવાય છે. તે અગ્નિ અને પ્રકાશનું રૃપાંતરિત સ્વરૃપ છે.

સોમવાર એ પરંપરાગત રીતે શિવના પૂજન માટેનો મહત્ત્વનો દિવસ છે. આ દિવસે ભક્તો સોમવારનો ઉપવાસ કરીને શિવની પૂજા-અર્ચના કરતા રહે છે. પ્રાચીન સમયથી શિવમંદિરમાં શિવલિંગ પર દૂધ ચડાવવામાં આવે છે. શંકરને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર ચડાવવામાં આવે છે. શિવના પૂજન- અર્ચન માટે ત્રણ વસ્તુઓનું ખાસ મહત્ત્વ છે. જેમાં બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મનો સમાવેશ થાય છે. અગ્નિના સ્વરૃપ હોવાને કારણે શિવજીની પૂજાવિધિઓમાં ભસ્મનું ખાસ મહત્ત્વ છે. તે માનવીય કાર્ય -કલાપોના આરંભ અને અંતનો બોધ કરાવે છે. શિવ આનાથી પ્રસન્ન થાય છે. 'મહાશિવરાત્રી' શિવનો અનેરો મહિમા દર્શાવતું પર્વ છે. શિવરાત્રિના પર્વનો દિવસ પૂજા-અર્ચના અને ઉપવાસમાં વીતે છે. રાત થતા જ શિવની શક્તિઓ વિશ્વમાં વિચરણ કરે છે. આ દિવસે વિશેષ પૂજા થાય છે. શિવને ભાંગ ધરાવવામાં આવે છે.

શ્રાવણ મહિનો પણ શિવની પૂજા માટે ઉત્તમ ગણાય છે. તે ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર માસ કહેવાય છે. આથી આખો મહિનો મહાદેવજીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. પૂજા, ભક્તિ, અર્ચન તેમજ મંત્ર-શ્લોક વગેરેથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠતું હોય છે. બીલીપત્ર તેમજ આસોપાલવના પાન શિવલિંગ પર ચડાવવામાં આવે છે. નાળિયેરને કપડામાં લપેટીને કળશ પર મૂકવામાં આવે છે. નાળિયેરના રેસાઓ મહાયોગીની જટાના પ્રતીક છે. નાળિયેર પરની આંખો શિવનાં ત્રણ નેત્રોને દર્શાવે છે. કામનાઓને પૂર્ણ કરનારી કામધેનુ ગાયથી ઉત્પન્ન અગિયાર સહાયક રુદ્ર અગિયાર પ્રાણ ઊર્જાઓના પ્રતીક છે. શ્રાવણમાં શિવની ભક્તિ તમામ રીતે કલ્યાણકારી છે .

શ્રાવણ માસ એટલે ભગવાન શ્રી શિવજીની પાવન ઉપાસનાનું મહાપર્વ. દર વર્ષે આવતો આ પવિત્ર શ્રાવણ માસ દાન - પુણ્ય અને ભક્તિભાવનો જેમાં મહિમાનો શ્રેષ્ઠ મહિનો છે. આ પવિત્ર માસમાં ભગવાન શિવજીની ઉપાસના અલગ અલગ રીતે થાય છે. કોઈ ભક્તો આખાય માસ દરમિયાન ઉપવાસ- એકટાણાં વગેરે શરૃ કરે છે.

આ માસમાં શિવજીની ઉપાસના શ્રેષ્ઠ અને ફળદાયી છે. દરરોજ સવારે શિવમંદિરે જઈ મહાદેવજીના શિવલિંગ ઉપર જળ અથવા દૂધની ધારથી અભિષેક થાય છે. આ અભિષેકમાં ઘણા બધા પ્રકાર છે પરંતુ ખાસ કરીને શિવમહિમ્ન દ્વારા અથવા રુદ્રિનો પાંચમો અધ્યાય આ બંનેનો પાઠ ભણવામાં આવે છે. તેમાં અગિયાર વખત શિવમહિમ્ન અથવા રુદ્રિનો પંચમ અધ્યાય ''નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે'' જે અગિયાર વખત ભણવાથી એક રુદ્રાભિષેક થયો ગણાય. ઘણી જગ્યાએ ભક્તજનો શિવમાનસપૂજાના મંત્રો દ્વારા જળ અથવા દૂધનો અભિષેક કરે છે. પંચોપચાર અથવા સોડસોપચાર આ બંનેમાંથી શિવપૂજા કરી તેના ઉપર બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. તેનું પણ અદ્ભુત મહાત્મ્ય છે. શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચઢાવતી વખતે મંત્ર બોલવામાં આવે છે. 'ઓમ ત્રિદલ, ત્રિગુણાકારં, ત્રિનેત્રં, ત્રિયુયુધમ, ત્રિજન્મ પાપ સંહાર, એક બિલ્વપત્ર શિવાર્પણમ' અથવા પંચાક્ષર મંત્ર પણ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. 'ઓમ નમઃ શિવાય' શિવ માનસપૂજામાં સ્તોત્રના અંતે આવે છે. ''પંચાક્ષર મિદંપુણ્ય યઃ પઢે શિવ સંન્નિદ્યૈ શિવલોકે મવાપ્નોતિ શિવેન : સહમોદતે'' આ પંચાક્ષર મંત્ર પણ તેટલું જ ફળ આપે છે.

આ પવિત્ર માસમાં પાર્થેશ્વર પૂજાનું પણ અદ્ભુત મહાત્મ્ય છે. પાર્થેશ્વપૂજનમાં દરરોજ નવી માટી લાવી શિવલિંગ બનાવામાં આવે છે. તેની આજુબાજુ બાણ બનાવાય છે. ચંદન અને આખા ચોખાથી પૂજન કરવામાં આવે છે. તેનો મંત્ર છે 'નમ : શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાયમ મયસ્ક્રરાય ચ શિવાયચ શિવતરાય ચ'!

એક માસ સુધી અખંડજ્યોત રાખી એકટાણું ઉપવાસ કરી સવાલક્ષ જપ પણ કરવામાં આવે છે. તેમાં બે મંત્રો છે. ''ઓમ મત્યું જય મહાદેવ ત્રાહિમામ શરણાગત્ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પિડિંત બંધનૈ''!! ''ઓમ ત્ર્યંબકં યજામહે, સુગંધિમપુષ્ટિવર્ધનમ્, ઉર્વારૃકમિવ બંધનાત્, મૃત્યુર્મોક્ષિય મામૃતાત્''

તેમાંથી કોઈ એક મંત્ર લઈ એક માસ સુધી સવા લક્ષ જપ પૂર્ણ કરી તેનો દશાંશ હોમ આપવામાં આવે છે. ઘણી વખત રુદ્રગાયત્રી પણ બોલવામાં આવે છે.
''ઓમ તત્ પુરુષાય વિદ્મહે
મહાદેવાય ધિમહિ
તન્નો રુદ્ર પ્રચોદયાત!!''
સ્વાહાકાર મંત્રથી આહુતિ પૂર્ણ કરી આમ એક આમ સુધી ભગવાન શિવજીની ઉપાસના થાય છે. આમ કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. સર્વ પાપનો નાશ થાય છે. મોક્ષની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રના કથન અનુસાર ''શિવલોક મવાપ્નોતિ'' શિવલોકની પ્રાપ્તિ થાય છે તો ભક્તો ચાલો આપણે પણ આ પવિત્ર માસમાં શિવજીની ઉપાસના કરી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરીએ.
*************************************************************************************
ભોળા શંકર પ્રત્યેની સાચી પ્રાર્થના
ભગવાન શંકર આ બ્રહ્માંડના સૌથી મહાન યોગી છે. સમાજમાં આત્મસન્માનની જો કોઈ વાત હોય તો તેના સૂત્રધાર સ્વયં ભોળા શંકર જ છે. તેઓએ પાર્વતીને સમજાવ્યું હતું કે વગર બોલાવ્યે કોઈના ત્યાં જવું નહીં. પરંતુ પોતાના પિતાએ યોજેલ યજ્ઞામાં પાર્વતી જતાં તેમણે તેની કિંમત પ્રાણોની આહુતિ દ્વારા ચૂકવવી પડી. ત્યાર બાદ મૃત પાર્વતીને જોઈને શિવે જે તાંડવ મચાવ્યું તે સર્વવિદિત છે. પાર્વતીનાં અંગ જ્યાં પડયાં તે જગ્યાઓ આજે શક્તિપીઠો તરીકે ઓળખાય છે.

સૌના કલ્યાણકારી એવા ભોળા શિવજીની સાથે રહીને પાર્વતીએ શું મેળવ્યું હશે ? આપણે પણ શિવની કૃપા મેળવવી હોય તો તેમની પ્રાર્થના કરવી જોઈએ. શિવની પ્રાર્થના કરીએ એટલે તેઓ આપણી સમક્ષ હાજર થઈ જાય તેવું નથી પરંતુ જયારે આપણે તેમનું સ્મરણ કરીએ છીએ ત્યારે તેમનું સ્વરૃપ આપણા મનમાં ઉભરે છે. આપણે તેને જ સર્મિપત રહીને પ્રાર્થના કરીએ છીએ. દેવોના અનેક સ્વરૃપ છે જે આપણે જાણીએ છીએ. આપણે જે પ્રભુની પ્રાર્થના કરીએ છીએ તે આપણા મન પર છવાઈ જાય છે. આનાથી સાબિત થાય છે કે મન એ અરીસા જેવું છે. જેનું સ્મરણ કરીએ છીએ તેનું રૃપ આપણી સામે ઉભરી આવે છે. રાવણ શિવનો ભક્ત હતો પરંતુ તેણે સીતાહરણ કર્યું તો તેનાં માઠાં પરિણામ તેણે ભોગવવા જ પડયાં. તે કર્મના ફળથી બચી શકે નહીં.

ભક્તિનું એક મહત્ત્વ છે તો ફળપ્રાપ્તિનું અલગ મહત્ત્વ છે. જ્યારે મનમાં બૂરાઈ હોય ત્યારે અંદરથી જ એક વિરોધનો અવાજ બહાર આવે છે. જો ભક્તિનો ઉદ્દેશ્ય ખોટો હોય તો તે વિનાશ નોતરે છે. આપણે શિવને પ્રાર્થના કરીએ તેમાં ધ્યાન સારા માટે કરવાનું છે. સત્યની પૂજા એ જ શિવ પૂજા છે. મનમાં ખરાબ ભાવ લાવ્યા વગર પ્રાર્થના કરીએ તો શિવ આપણા પર જરૃર કૃપા કરે છે.
***************************************************************************************
સોમવારી વ્રતોનું મહાત્મ્ય

બાર મહિનાઓમાં શ્રાવણ માસમાં જ શિવપૂજન સૌથી વધારે થાય છે. ભગવાન શંકરે સ્વયં પોતાના શ્રીમુખથી બ્રહ્માજીના માનસપુત્ર સનતકુમારને શ્રાવણ માસનો મહિમા આ પ્રમાણે દર્શાવ્યો છે.

'મારાં ત્રણ નેત્રોમાં સૂર્ય જમણું અને ચન્દ્ર ડાબું નેત્ર તથા અગ્નિ મધ્યમ નેત્ર છે. ચન્દ્રની રાશિ કર્ક અને સૂર્યની રાશિ સિંહ છે. જ્યાં સૂર્ય કર્કથી સિંહ રાશિ સુધીની યાત્ર કરે છે ત્યારે આ બંને સંક્રાન્તિયો ખૂબ જ પુણ્ય ફળદાયી હોય છે અને તે આવો પુણ્યકાળ શ્રાવણ મહિનામાં જ આવે છે. અર્થાત્ આ બંને સંક્રાન્તિઓ શ્રાવણમાં જ આવે છે માટે જ શ્રાવણ માસ મને વધુ પ્રિય છે.'

કર્ક સંક્રાન્તિથી સિંહ સંક્રાન્તિ સુધી સૂર્યની યાત્રાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ :
સૂર્ય જ્યારે કર્ક રાશિમાં હોય છે, જે ભગવાન શંકરનું જમણું નેત્ર છે ત્યારે ભગવાન શિવના જમણા નેત્રમાં રહેલી કરુણા, દયા વગેરેમાં દ્રવિત અર્થાત્ વધુ તરબ કરી દે છે અને જ્યારે કર્ક રાશિ અર્થાત્ જમણા નેત્રથી સિંહ રાશિ (ડાબા નેત્ર) તરફ ચાલે છે ત્યારે સૂર્યના કિરણોની સાથે ભગવાન શિવની કરુણા અને દયા ભૂમંડળ પર વરસાવતી ચાલતી જાય છે. સૂર્યની સાથોસાથ ભગવાન શિવનાં નેત્ર ભૂમંડળ પરના સમસ્ત જીવોને પોતાની દયા દૃષ્ટિથી જુએ છે અને જળથી અભિષેક કરતાં ચાલે છે. શ્રાવણના પવિત્ર યોગમાં કરવામાં આવતું શિવપૂજન અને વ્રત અસીમ ફળદાયી હોય છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ કર્ક સંક્રાન્તિથી સિંહ સંક્રાન્તિ સુધીની અવધિમાં બાષ્પીકરણ વધુ હોય છે અને વરસાદ પડે છે. વર્ષોથી અનેકાનેક વનસ્પતિઓનું પોષણ થાય છે. શ્રાવણ માસમાં સોમવારનું વ્રત વધુ પ્રચલિત છે. લોકો સોળ સોમવાર સુધીનું વ્રત કરે છે. ચન્દ્ર એ ભગવાન શિવનાં નેત્ર છે, અને તેમનું બીજું નામ સોમ છે. સોમ એ બ્રાહ્મણોનો રાજા અને ઔષધિઓનો દેવતા છે તેથી સોમવારનું વ્રત કરવાથી સમસ્ત શારીરિક, માનસિક અને આર્િથક કષ્ટ દૂર થાય છે અને જીવન સુખમય બની જાય છે. આ માસના સોમવારનાં વ્રતોનું પાલન કરવાથી બારેય મહિનાઓના સોમવારોનાં વ્રતોનું ફળ મળી જાય છે. સોમવારના વ્રતનું વિધાન ઘણું જ સરળ છે. સ્નાન કરીને શ્વેત યા હરિયાળા વસ્ત્રનું ધારણ કરવું. દિવસભર મન પ્રસન્ન રાખવું, ક્રોધ, ઈર્ષ્યા, ચાડી - ચુગલી કરવી નહીં. પોતાને શિવમય (કલ્યાણકારી) માનવું. દિવસ દરમિયાન શિવના પંચાક્ષરી મંત્ર 'ઓમ નમઃ શિવાય'નું મનોમન રટણ કર્યા કરવું.

સાયંકાળને પ્રદોષ વેળા કહેવામાં આવે છે. આ સમયે જો ભગવાન શિવની નિકટતા મળે તો સમસ્ત દોષો દૂર થઈ જાય. તેથી સાયંકાળે શિવ મંદિરમાં યા પોતાના ઘરમાં માટીનું શિવલિંગ અને પાર્વતી તથા શ્રી ગણેશજીની ર્મૂિત બનાવીને સોળ પ્રકારે પૂજન કરવું. તેમાં સોળ દુર્વા, સોળ સફેદ ફૂલ, સોળ માળાઓથી શિવપૂજન કરવાથી તે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર છે. તેથી સોળ દીવેટોના દીપકોથી આરતી કરી ક્ષમાપ્રાર્થના કરવી.
***********************************************************************************
મંગળાગૌરી વ્રત
મંગળવારના દિવસે કન્યાએ પ્રાતઃકાળે ઊઠી સ્નાન વિધિથી પરવારી માતા પાર્વતીજીનું સ્થાપન કરી, સૌભાગ્ય વસ્તુ સાથે અર્ચન - પૂજન કરવું. ઉપવાસ, એકટાણું અથવા મોળું ભોજન લેવું. દેવી પાર્વતીનું પૂજન કર્યા પછી વ્રતકથાનું વાંચન કે શ્રવણ કરવું. રાત્રે જાગરણ કરવું અને ગૌરીમાતાની ભક્તિ કરવી. પાર્વતીજીએ આ વ્રત સૌપ્રથમ કરેલ તેથી આ વ્રતને 'ગૌરી' વ્રત પણ કહેવામાં આવે છે.

વ્રતકર્તા સ્ત્રીએ સૌભાગ્યસૂચક વસ્તુઓ બંગડીઓ, ચાંદલા, કાંસકી, કાંચળી માટે કપડાનો ટુકડો એટલે કે બ્લાઉઝ પીસ, મીઠાઈ, ફળફળાદી વ્રતના ઉજવણા પછી બ્રાહ્મણને દાનમાં આપી પ્રસન્ન કરવા. દર મંગળવારે મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું.

સ્ત્રીઓ આ વ્રત સંતતિ, સંપત્તિ અને પતિના દીર્ઘાયુષ માટે કરે છે. પ્રત્યેક વર્ષના શ્રાવણ માસના મંગળવારે આ 'મંગળાગૌરી' વ્રત કરવામાં આવે છે. છેલ્લા વર્ષે ઉપરોક્ત વિધિ અનુસાર વ્રતનું ઉજવણું કરવાથી પતિનું આત્યંતિક કલ્યાણ થાય છે.

વ્રતકથા આ પ્રમાણે છે: ધનબાદ નામે નગરમાં ધરમચંદ ધર્મશીલ અને મહાન દાનેશ્વરી તરીકે પ્રખ્યાત હતો. તેના આંગણેથી કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. જાણે દાનેશ્વરી કર્ણનો બીજો અવતાર જ જોઈ લ્યો. આ વણિક શેઠની પત્ની પણ એટલી જ ધર્મશીલ અને પ્રભુપરાયણ હતી. આ દંપતીને નિઃસંતાનપણું સાલતું હતું.

આ વણિક શેઠને ત્યાં રોજ એક સાધુ મહારાજ આવે, આવે ભિક્ષા માટે પણ કંઈ લે નહીં અને ચાલ્યો જાય. એક દિવસ ધરમચંદ શેઠે શેઠાણીને કહ્યું, આ સાધુ મહારાજ કંઈ લેતા નથી માટે તેની ઝોળીમાં એક સોનામહોર મૂકી દેજે. શેઠાણીએ સોનામહોર ઝોળીમાં મૂકી કે તરત જ સાધુ મહારાજનો ક્રોધ ભભૂકી ઊઠયો. સાધુએ કહ્યું, તમારે સંતાનની ઈચ્છા છે પણ તે ઈચ્છા પૂર્ણ નહીં થાય.

સાધુ મહારાજનો આ શાપ સાંભળીને શેઠાણી તો ધ્રૂસકે ને ધૂ્રુસકે રડી પડયાં. આંસુ એ સ્ત્રીનું શક્તિશાળી હથિયાર છે. આ સ્ત્રીના આંસુ જોઈ સાધુ મહારાજનું હૃદય દ્રવી ઊઠયું. સાધુ મહારાજે કહ્યું "બહેન ! શેઠને કહેજો કે શ્યામ વસ્ત્રો પરિધાન કરીને શ્યામ ઘોડા પર સવાર થઈ પૂર્વ દિશા તરફ પ્રયાણ કરે. આ ઘોડો ચાલતા ચાલતા જે સ્થળે ઠેસ કે ઠોકર ખાય ત્યાં ખોદવાનું કહેજો. તે સ્થળે એક પ્રાચીન મંદિર હશે અને મંદિરમાં મા જગદંબા પાર્વતીજીની દેદીપ્યમાન ર્મૂિત હશે. આ દિવ્ય અને ભવ્ય ર્મૂિતની તમે બંને પૂજા કરજો."

આટલું કહીને તે સાધુ મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા! શેઠાણી તો અનિમેષ નેત્રે જે દિશામાં સાધુ મહારાજ અલોપ થયા તે દિશા તરફ જોઈ જ રહ્યાં.

શેઠે સાધુ મહારાજના આદેશ અનુસાર કાળાં વસ્ત્રો પહેરી, કાળા ઘોડા પર બેસીને પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. જે સ્થળે ઘોડાને ઠોકર લાગી તે સ્થળે ખોદકામ કરાવ્યું તો ખરેખર જૂનું પુરાણું મંદિર અને ર્મૂિત મળી આવ્યા. આ દંપતીએ વિધિપૂર્વક ર્મૂિતનું અર્ચન - પૂજન કર્યું.

પાર્વતીજી આ વણિક શેઠ પર પ્રસન્ન થયાં, માતાજીએ કહ્યું, 'માગ માગ !' શેઠે બે હાથ જોડી પુત્રરત્નની માગણી કરી. પાર્વતીજીએ કહ્યું, તમારા ભાગ્યમાં સંતાન છે જ નહીં, છતાં તમે એમ કરો સામેના આમ્રવૃક્ષની કેરી તમારી પત્નીને પ્રસાદ તરીકે આપજો. આ કેરી આરોગવાથી અલ્પ આયુષ્યવાળા પુત્રની પ્રાપ્તિ થશે. વીસેક વર્ષની ઉંમરે એને સર્પદંશ થશે. શેઠ કહે ભલે જે થવાનું હોય તે થાય પણ મને પુત્રપ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. પાર્વતીજી 'તથાસ્તુ' કહી અંતર્ધ્યાન થઈ ગયાં.

શેઠાણીએ પૂરા માસે પુત્રરત્નને જન્મ આપ્યો. આ પુત્રનું નામ 'શંભુ' પાડયું. મામા પોતાના ભાણેજ શંભુને લઈને બાધા પૂર્ણ કરવા પગપાળા કાશીએ જવા નીકળ્યા. મામો - ભાણેજ માર્ગમાં એક તળાવના કાંઠે વિસામો લેવા બેઠા.

અહીં કેટલીક 'કુમારિકાઓ' અંદરોઅંદર વાર્તાલાપ કરી રહી હતી. એક સ્વરૃપવાન કન્યાએ કહ્યું, "તું માન કે ન માન, પણ લગન થયા પછી હું તો અખંડ સૌભાગ્યવતી જ રહેવાની છું કારણ કે મારી માતાએ મંગળાગૌરી વ્રત કર્યું છે અને હું પણ મારા વિવાહ થાય ત્યારે આ વ્રત કરવાની છું. આ વ્રત કરવાથી કુટુંબની સ્ત્રીઓ આજન્મ સૌભાગ્યવતી રહે છે.

મામો - ભાણેજ આ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. મામાએ વિચાર્યું કે જો આ કન્યા સાથે મારા ભાણેજનાં લગ્ન કરવામાં આવે તો તે દીર્ઘાયુષી બની જાય અને સર્પદંશની ઘાત જાય, તેમજ અકાળે મોત થવાનું છે તેમાંથી તે ઉગરી જાય. મામો - ભાણેજ આ સ્વરૃપવાન કન્યાની પાછળ પાછળ તેના ઘર તરફ ગયા અને તેનું ઘર જોઈ લીધું અને પાડોશમાં પૂછીને નામ - ઠામ જાણી લીધું. ત્યાર પછી બંનેએ કાશી તરફ પ્રયાણ કર્યું. કાશી જઈને ગંગાસ્નાન તથા શિવદર્શનની બાધા પૂરી કરી. પાછા ફરતી વખતે મામો - ભાણેજ પેલી કન્યાને ઘેર આવી પહોંચ્યા. તેનાં માતા - પિતાને મળી વાતચીત કરી. શંભુ અને સુશીલા શયનખંડમાં સૂતા હતા ત્યારે દેવી મંગળાગૌરી (પાર્વતીજી)એ સ્વપ્નમાં દર્શન દઈ સુશીલાને કહ્યું કે, "હું તારા પર પ્રસન્ન થઈ છું, કારણ કે તેં તારા પતિના આયુષ્ય માટે, આરોગ્ય માટે અને સુખ - સમૃદ્ધિ માટે મારું વ્રત કર્યું છે. હું તને જે કહું તે તું ધ્યાનથી સાંભળી લે. તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે. તારા પતિને દંશ દેવા એક સર્પ હમણાં જ આવશે. સર્પ આવીને સૌપ્રથમ દૂધ પી જશે. પછી તે ઘડામાં પ્રવેશ કરશે. સર્પ ઘડાની અંદર પ્રવેશે કે તરત જ તું ઘડાનું મોઢું કપડાથી ઢાંકી કપડું બાંધી દેજે અને વહેલી સવારે તે ઘડો ગામની બહાર મૂકી આવજે." આટલું કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયાં.

સુશીલાએ તરત જ ઊઠીને દેવીની અજ્ઞાનુસાર સાકર નાખેલું દૂધ થાળીમાં તૈયાર કરી પલંગ પાસે મૂકી રાખ્યું અને ખાલી ઘડો પણ આડો પાડીને બાજુમાં ગોઠવી દીધો. ઝેરી સાપ શયનખંડમાં ફૂંફાડા મારતો આવ્યો. સાપે દૂધ જોયું કે તરત જ પીવા લાગ્યો અને દૂધ પીધા પછી બાજુમાં પડેલ ઘડામાં ભરાઈ બેઠો. સુશીલાએ સૂચના અનુસાર તૈયાર રાખેલું કપડું ઘડાના મોઢા પર બાંધી દીધું અને વહેલી સવારે ઘડો ગામની બહાર મૂકી આવી. મા જગદંબા મંગળાગૌરીએ સુશીલાને સ્વપ્નમાં દર્શન દઈ તેના પતિની રક્ષા કરી અને આ પ્રકારે સુશીલાએ કરેલ આ વ્રત તેને ફળ્યું, તેથી તેણે મનોમન મંગળાગૌરીનો આભાર માન્યો. સવારે સુશીલાએ પોતાના પતિદેવને અને સાસુ - સસરાને સઘળી હકીકત વિગતે કહી સંભળાવી.

સુશીલાએ કરેલ મંગળાગૌરી વ્રતથી શંભુનું આયુષ્ય વધ્યું અને સર્પદંશની ઘાત ગઈ. મંગળાગૌરીએ આ દંપતી પર મહેર કરી. આ વ્રત કરવાથી યશ, વૈભવ અને રિદ્ધિ - સિદ્ધિ પ્રાપ્ત થવા માટે સ્ત્રીઓએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. ઉપરોક્ત વિધિ - વિધાન અનુસાર જો આ વ્રત કરવામાં આવે તો મંગળાગૌરી સુશીલાને ફળ્યાં, તેવાં આ વ્રત કરનાર સૌને ફળે છે.
************************************************************************************

Shri Shiv Raksha Strotram

શ્રી શિવરક્ષા સ્તોત્રમ્

વિનિયોગ

અસ્ય શ્રીશિવરક્ષા સ્તોત્ર મન્ત્રસ્ય યાજ્ઞાવલ્ક્યો ઋષિઃ

શ્રી સદાશિવો દેવતા અનુષ્ટુપ્ છન્દઃ

શ્રીસદાશિવ પ્રીત્યર્થે શિવરક્ષાસ્તોત્ર જપે વિનિયોગઃ

કવચ-પાઠ

ચરિતં દેવદેવસ્ય મહાદેવસ્ય પાવનમ્

અપારં પરમોદારં ચતુર્વર્ગસ્ય સાધનમ્ ૧

ગૌરીવિનાયકોપેતં પંચવક્ત્રં ત્રિનેત્રકમ્

શિવં ધ્યાત્વા દશભુજં શિવરક્ષાં પઠેન્નરઃ રા

ગંગાધરઃ શિરઃ પાતુ ભાલમર્ધેન્દુશેખરઃ

નયને મદનધ્વંસી કર્ણો સર્પવિભૂષણઃ ૩

ઘ્રાણં પાતુ પુરારાતિર્મુખે તાપુ જગત્પતિઃ

જિહ્વાં વાગીશ્વરઃ પાતુ કન્ધરા શિતિકન્ધરઃ ૪

શ્રીકણ્ઠઃ પાતુ મે કણ્ઠં સ્કન્ધૌ વિશ્વધુરંધર

ભૂતૈ ર્ભૂભારસંહર્તા કરૌ પાતુ પિનાકધૂક ૫

હ્ય્દયં શંકરઃ પાતુ જઠરં ગિરિજાપતિઃ

નાભિં મૃત્યુંજયઃ પાતુ કરી વ્યાઘ્રજિનામ્બરઃ ૬

સકિથની પાતુ દીનાર્તશરણાગત વત્સલઃ

ઊરુ મહેશ્વરઃ પાતુ જાનુની જગદીશ્વરઃ ૭

જંઘે પાતુ જગત્કર્તા ગુલ્ફૌ પાતુ ગણાધિપઃ

ચરણૌ કરુણાસિન્ધુઃ સર્વાંગાનિ સદાશિવઃ ૮

એતાં શિવબલોપેતા રક્ષાં યઃ સુકૃતિં પઠેત્

સ ભુકત્યા સકલાન્ કામાન્ શિવસાયુજ્યમાપ્નુયાત્ ૯

ગ્રહ-ભૂત-પિશાચાદ્યાસ્ત્રૈલોક્યે વિચરન્તિ યે

દૂરાદાશુ પલાયન્તે શિવ - નામાભિરક્ષણાત્ ૧૦

અભયંકરનામેદં કવચં પાર્વતીપતેઃ

ભુક્ત્યા બિર્ભિત યઃ કણ્ઠે તસ્ય વશ્યં જગત્ત્રયમ્ ૧૧

ઈમાં નારાયણઃ સ્વપ્ને શિવરક્ષાં યથાડડદિશત્

પ્રાતરુત્થાય યોગીન્દ્રો યાજ્ઞાવલ્કયસ્તથાડખિલત્ ૧૨

ઈતી શ્રીયાજ્ઞાવલ્ક્યપ્રોક્તં શિવરક્ષા સ્તોત્રં સમ્પૂર્ણમ્

Shravan Mahino 2009

આજથી શ્રાવણ માસ - શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’નો નાદ ગૂંજી ઊઠશે by Parmanand Gandhi

ભારતીય સંસ્કતિમાં શ્રાવણ માસનું એક આગવું મહત્ત્વ છે. શ્રાવણ મહિનો એટલે વ્રત, જપ, તપનો મહિનો, એકટાણે ઉપવાસનો મહિનો. રોજિંદા જીવન-વ્યવહારમાં બદલો લાવવાનો મહિનો. વર્ષ દરમિયાન ભોગોમાં જ રમમાણ થયેલા મનને ઈશ્વરાભિમુખ કરવાનો મહિનો. ભગવાન શિવજીની આરાધના કરવાનો મહિનો. તેથી તે પવિત્ર, તેથી તેનું અદકું મહત્ત્વ. ભોગોની આસકિત ઓછી કરવાનો-તે છોડવાનો અભ્યાસ કરવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો. તેથી તો કેટલાક અલૂણું વ્રત રાખી મીઠું છોડે છે, તો કેટલાક વળી એક ટંકનું ભોજન છોડે છે. તો કોઈ આ માસ દરમિયાન કાંદા-લસણનો ત્યાગ કરે છે. આ બધું છોડવા પાછળ એક જ પ્રામાણિક આશય હોય છે કે તે નિમિત્તે ચંચળ મતને વધુને વધુ ઈશ્વર તરફ વાળવું. તેને સુખશાંતિ સમાધાન આપવું. આખું વરસ તો ભગવાન તરફ પૂરતું ઘ્યાન નથી આપ્યું તો એક મહિનો તેના તરફ ઘ્યાન આપી ભગવાન શિવજીનું સ્મરણ તો કરીએ!

તેથી આ ભગવાન વિષ્ણુ ઉપર તુલસીદલ મૂકી શ્રીવિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય છે તેમ શ્રાવણ માસમાં ભગવાન શિવજીના લિંગ ઉપર જળાભિષેક કરી તેના ઉપર સહસ્ત્રબીલી પત્ર ચડાવી તેની આરાધના કરવામાં આવે છે. ભગવાન ઉપર બીલીપત્ર ચડાવતી વખતે ગવાતું ‘બિલ્વાષ્ટકમ્’ શિવપૂજાનું હાર્દ ગણાય છે. ત્રણ પત્રવાળું, સત્ત્વ, રજસ્ તથા તમસ્ એ ત્રણ ગુણ સ્વરૂપ, ત્રણ નેત્રરૂપ, ત્રણ આયુધ સ્વરૂપ અને ત્રણે જન્મોનાં પાપ નાશ કરનારું આ એક બિલ્વપત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું.

બીલીવૃક્ષનાં દર્શન અને સ્પર્શ બધાં પાપોનો નાશ કરનારું છે. અરે અઘોર પાપ હોય તો તે પણ નાશ કરનારું બીલીપત્ર છે અને તે ભગવાન શિવજીના ચરણે ધરવામાં આવે છે. આ કલ્યાણકારી બિલ્વાષ્ટકમ્નો પાઠ ભગવાન શંકર સમક્ષ કરવામાં આવે તો માણસ બધા પાપોથી મુકત થઈ શિવલોક પામે છે.

બીલીપત્રનું આટલું મહત્ત્વ છે તેનું પૌરાણિક કારણ પણ છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરી જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું. એક દિવસ ફરતાં ફરતાં દેવીએ એક ઘટાદાર વૃક્ષ જોયું. તેમની સાથે આવેલી સહિયર જયાને તેમણે કહ્યું, ‘જયા, શા માટે તે ખબર નથી પણ આ વૃક્ષને જોઈને મન અત્યંત પ્રસન્ન થાય છે.’ પાર્વતીજીની વાતનો ફોડ પાડતાં જયાએ કહ્યું, ‘દેવી, તમારા પ્રસ્વેદ બિંદુમાંથી તે ઊગ્યું છે. તેથી તેનું નામ બિલ્વ રાખવામાં આવ્યું છે. (શિવપુરાણ) પૌરાણિક એવી સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં સમગ્ર વૃક્ષમાં દેવીનાં જુદા જુદા સ્વરૂપો વસે છે. તેથી ભગવાન શિવજીના પૂજનમાં બીલીપત્રનું આગવું મહત્ત્વ છે.

બીલીપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે બીલીપત્રનાં ત્રણ પાન જોડેલાં છે તે ત્રિદલ છે અને તે ત્રણ પાત્ર જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે. તેથી ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવતી વખતે આ ભાવના કેળવી હોય તો ભગવાન જરૂર પ્રસન્ન થાય. હકીકતમાં ભગવાનની આરાધનામાં આ ત્રણેની આવશ્યકતા છે.
******************************************************************************************
દેવાધિદેવ મહાદેવનો મહિનો by Yogesh Joshi

શંકર ભગવાનને વરદાનોના ભંડારી કહેવામાં આવે છે. મહાદેવ બહુ જલદીથી પોતાના ભકતો પર રીઝી જાય છે અને મોં માગ્યું વરદાન આપે છે. રાવણ અને હિરણ્યકશિપૂ જેવા દાનવોને પણ ભોળાનાથે પ્રસન્ન થઇને વરદાનો આપેલાં છે.

દેવોમાં તું મહાદેવ,તારો મહિમા અપરંપાર,ભવ્ય ભાલ પર ચંદ્રજટા, બીચ બહે ગંગાકી ધાર

શ્રાવણ મહિનો શરૂ થવામાં બે દિવસની વાર છે. શ્રાવણ મહિનો હિંદુઓનો પવિત્ર મહિનો ગણાય છે. આ માસમાં લોકો ઉપવાસ કે એકટાણાં કરે છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાથી જીવનમાં ન ધારેલી સફળતા પ્રાપ્ત થાય છે. આપણાં ગ્રંથો અને પુરાણોએ પણ શ્રાવણ મહિનાનો મહિમા ગાયો છે. શ્રાવણ મહિનો પુણ્ય કમાવાનો અને દાન કરવાનો ઉત્તમ મહિનો છે. ભગવાન શંકર એ દેવોના પણ દેવ ગણાય છે તેથી દેવાધિદેવ કે મહાદેવ તરીકે પૂજય છે. મહાદેવને કોઇ શોભા કે શણગાર નથી ફકત તેમના શરીર પર વ્યાધ્રચર્મ વીંટાયેલું હોય છે. ગળામાં સર્પો ફરતા હોય છે. શરીર પર ત્રિપુંડ અને ભસ્મના લેપ હોય છે. માથે કાળી જટા ધારણ કરેલી છે, તેમાંથી પવિત્ર ગંગા નદી નીકળે છે. જટા પર અર્ધચંદ્ર બિરાજમાન છે. હાથમાં ડમરુ તથા ત્રિશૂળ શોભાયમાન છે. મહાદેવનું ભવ્ય ભાલ (કપાળ) દેદીપ્યમાન છે. મહાદેવ પાસે ભૂત-પ્રેતનું સૈન્ય છે, ચોતરફ ડમરુ તથા ડાકલાં વાગતાં હોય છે. જયાં બરફમાં કોઇ જઇ શકે નહીં તેવા કૈલાસ ધામમાં મહાદેવજીએ વાસ કરેલો છે.

ભગવાન શંકરને લોકો અલગ અલગ નામથી પણ ઓળખે છે. જેમ કે શંકર, શિવ, શંભુ, ભોળાનાથ, હરેશ્વર, આશુતોષ, ગંગેશ્વર વગેરે. કોઇ પણ શહેર, નગર, ગામડું કે ઉપનગર એવું નહીં હોય કે જયાં મહાદેવનું મંદિર નહીં હોય. બીજું, અન્ય દેવોમાં કોઇ દેવનું મોઢું પૂજાય છે, કોઇનું મસ્તક, કોઇના હાથ કે પગ અથવા કોઇ દેવના વાહન અથવા આયુધ પૂજાય છે, જયારે મહાદેવ જ એક એવા દેવ છે, જેમનું લિંગ પૂજાય છે. મંદિરમાં હંમેશાં લિંગ સ્વરૂપ જ હોય છે, ભાગ્યે જ કોઇ સ્થળે શિવજીની પ્રતિમા જોવા મળે છે. શિવજીનાં મંદિરો શોધવામાં પણ ભાવિક ભકતોને કોઇ તકલીફ પડતી નથી, કારણ કે જે નામની પાછળ શ્વર શબ્દ લાગે તે શંકરદાદાનું જ મંદિર હોય તેવું આપોઆપ સમજાય છે. દા.ત.સોમેશ્વર, રામેશ્વર વગેરે વગેરે.

પુરાણોમાં એક એવી કથા આવે છે કે, એક અવાવરુ જંગલમાં શિવજીનું મંદિર હતું. એક પૂજારી વર્ષોથી મહાદેવની સેવા પૂજા કરતો હતો અને મંદિરમાં જ રાતવાસો કરતો હતો. એક વખત એક ચોર ચોરી કરવા ગયો. અનાયાસે જંગલમાં પહોંચી ગયો અને રસ્તો ભૂલી ગયો. અચાનક તેની નજર મંદિર પર પડી અને નક્કી કર્યું કે આજની રાત અહીં રોકાણ કરી લઉ અને સવારે અજવાળું થતાં મારા ગામ ભેગો થઇ જઇશ. આમ કરી મંદિરમાં પ્રવેશ કર્યો, પણ મૂળ તો ચોરનો અવતાર અને ચોરી તેના જીવતરમાં વણાયેલી હોવાથી ચોરી કરવાની લાલચ રોકી શક્યો નહીં, પરંતુ શંકરદાદાના મંદિરમાં હોય પણ શું જે ચોરી શકાય. આથી તેણે તાંબાની ગળતી ચોરવાનો મનસૂબો ઘડ્યો. નસીબજોગે ગળતી ખાસી ઊચે બાંધી હતી તેથી ચોર પહોંચી શકયો નહીં, આથી તેણે ભગવાનના લિંગ ઉપર બંને પગ મૂકી દીધા અને ગળતી ઉતારવા ગયો, ત્યાં જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, વત્સ માગ માગ તું માગે તે આપું. આ બાજુ ખૂણામાં લપાઇને સૂતેલો પૂજારી આ બધો તમાશો જોતો હતો તે પણ સફાળો બેઠો થયો અને ભગવાનને રોષપૂર્વક આકરાં વેણ કહેવા લાગ્યો અને કહ્યું કે હું આટલાં વર્ષોથી આપની સેવા-અર્ચના કરું છું છતાં તમો મારા પર પ્રસન્ન થતાં નથી અને આ ચોર ચોરી કરવાના આશયે આવ્યો છતાં તમો તેને વરદાન આપવા તૈયાર થયા છો.

આ સમયે મહાદેવે શાંતચિત્તે, પ્રસન્ન વદને તે પૂજારીને જણાવ્યું કે, તેં તો આખી જિંદગી મારી પર દૂધ અને પાણી જ ચઢાવ્યાં છે, જયારે આ ચોરે તો પોતાનું આખું શરીર જ મને અર્પણ કર્યું છે તેથી મારે પ્રસન્ન થયે જ છૂટકો હતો. આમ ભોળાનાથ અપકાર કરનારા પર પણ ઉપકાર કરનારા શૈલવિહારી છે. એટલે જ કહેવાયું છે કે, દેવોમાં તું મહાદેવ તારો મહિમા અપરંપાર, ભવ્ય ભાલ પર ચંદ્રજટા, બીચ બહે ગંગાકી ધાર-- ૐ નમ: શિવાય

શ્રાવણ મહિનો બીજી રીતે પણ મહત્ત્વનો અને પવિત્ર મહિનો ગણાય છે કારણ કે ભગવાન શિવજીનો અતિપ્રિય મહિનો છે. જાણકારો કહે છે કે આ માસમાં વહેલી સવારે મહાદેવજીના મંદિરે જઇ, જે કોઇ વ્યક્તિ ભોળાનાથ ઉપર ગાયના દૂધનો અભિષેક કરે તેમના પર મહાદેવજી જરૂર પ્રસન્ન થાય છે. ઘણા લોકો દૂધ અને જળનો ભેગો અભિષેક કરે છે, તો કેટલાક લોકો ફકત જળનો જ અભિષેક કરે છે. લોકો ‘ઓમ્ નમ: શિવાય’નો જાપ જપે છે અને મહાદેવને પ્રિય એવી રુદ્રી કરે છે અથવા બ્રાહ્મણો પાસે કરાવે છે.

મહાદેવજી એ એક એવા દેવ છે કે તેમને કોઇ ભોગ ધરવામાં આવતા નથી, ફક્ત શુદ્ધ મનથી શુદ્ધ જળ ચઢાવો તો પણ મહાદેવજી પ્રસન્ન થાય છે. મહાદેવને બીલીપત્ર ઘણાં ગમે છે. એમાંય જો ત્રણ પાંદડીવાળા બીલીપત્રનો અભિષેક કરવામાં આવે તો મહાદેવજી અતિ પ્રસન્ન થાય છે. ઘણા લોકો શિવજી પર ધતૂરો અને કેવડો પણ ચઢાવે છે.
*****************************************************************************************
જીભ: શ્રેષ્ઠ અંગ પણ દુષ્ટ પણ by Jivan Darshan

વાણીની મધુરતાથી આપણે દુશ્મનોને પણ આપણા બનાવી શકીએ છીએ, જ્યારે કર્કશ વાણીને કારણે ઘણી વાર આપણાં પોતાનાં સગાંને-મિત્રોને જ દુશ્મન બનતા વાર નથી લાગતી.

પ્રાચીન સમયમાં અરબમાં અમીર લોકો ગરીબોને ખરીદીને ગુલામ બનાવીને રાખતા હતા. લુકમાન પણ આવો જ એક ગુલામ હતો. લુકમાન પોતાના માલિક (જે એક શેખ હતો) પ્રત્યે અત્યંત વફાદાર હતો. તે પોતાના માલિકની દરેક પ્રકારે સેવા-ચાકરી કરતો રહેતો. લુકમાન બુદ્ધિશાળી પણ હતો. શેખ પણ આ વાત જાણતો હોવાથી તે લુકમાન સાથે તત્ત્વપૂર્ણ ચર્ચાઓ કર્યા કરતો. તે લુકમાનને વિચિત્ર પ્રશ્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરતો અને લુકમાન પણ કયારેય તેને નિરાશ ન કરતો.

એક વાર શેખે તેને પૂછ્યું, લુકમાન! બકરાના શરીરમાં શ્રેષ્ઠ અંગ કયું હોય છે? લુકમાને તરત જવાબ આપી દીધો, જીભ. શેખે તેને ફરી પ્રશ્ન કર્યો , લુકમાન, હવે તું મને એ જણાવ કે બકરાના શરીરમાં સૌથી ખરાબ અંગ કયું ગણાય? લુકમાને ફરી એ જ જવાબ આપ્યો, જીભ. શેખે કહ્યું, આ તે કેવું? શ્રેષ્ઠ અને ખરાબ અંગ એક જ કઈ રીતે? લુકમાને જવાબ આપ્યો, માલિક! શરીરનાં તમામ અંગોમાં જીભ જ એવું અંગ છે, તે સૌથી સારી પણ છે અને સૌથી ખરાબ પણ. જીભથી ઉત્તમ વાણી બોલવામાં આવે તો બધાને સારું લાગે છે અને જો એ જ જીભે કડવું બોલવામાં આવે તો કોઈને એ ગમતું નથી. શેખ ફરી એક વાર લુકમાનની બુદ્ધિને માની ગયા.

કથાનો સાર એટલો જ છે કે વાણીની મધુરતાથી આપણે દુશ્મનોને પણ આપણા બનાવી શકીએ છીએ, જ્યારે કર્કશ વાણીને કારણે ઘણી વાર આપણાં પોતાનાં સગાંને-મિત્રોને જ દુશ્મન બનતા વાર નથી લાગતી. કદી કોઈ વિરુદ્ધ અપશબ્દો બોલવા ન જોઈએ. જીભનો ઉપયોગ જો સારી રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ છે, બાકી કડવી વાણી જ બોલવામાં આવે તો તે જીવનું જોખમ પણ ઊભું કરી દે છે.
************************************************************

શિવજી કરે કામના પૂરી by Dr. Urvashi Bandhu

શ્રાવણ મહિનો ભગવાન શિવજીને બેહદ પ્રિય છે. આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવાથી ભગવાન આશુતોષ દરેક ઇચ્છાઓ પૂરી કરે છે. જો જીવનમાં શિવત્વ પ્રાપ્ત કરવું હોય તો શ્રાવણ માસ સિવાય કોઇ સારું મુહૂર્ત નથી ગણાતું.

--- પહેલો સોમવાર:
શ્રાવણ માસનો પહેલો સોમવાર વિશેષ યોગ માટે હોય છે. લક્ષ્મી પ્રાપ્તિ, નોકરી કે પ્રમોશન, વેપારવૃદ્ધિ, દેવા માફી, પોતાનું મકાન કે વાહન પ્રાપ્તિ માટે આ ઉપાય કરો. પરિવારની મુખ્ય વ્યક્તિ કે કોઇ પણ સદસ્ય સ્નાનાદિ કરી સ્વરછ વસ્ત્રો ધારણ કરે. પૂર્વ દિશા તરફ મુખ રાખી સફેદ આસન પર બિરાજી લાકડાના બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરીને બાજોઠમાં થાળી મૂકી તેમાં કેસરથી ‘ૐ નમ: શિવાય’ લખવું. તેના પર શિવયંત્ર કે પારાનું શિવલિંગ રાખવું. ‘ૐ નમ: શિવાય’નું ઉરચારણ કરતાં જલપાત્રમાં થોડું કાચું દૂધ મેળવીને પારાના શિવલિંગ પર ચઢાવવું. જળ એટલું ચઢાવવું કે શિવલિંગ જળમાં ડૂબી જાય. પછી રુદ્રાક્ષની માળાથી ૧૦૮ વખત ૐ રુદ્રાય નમ:નો મંત્ર જપવો. ભગવાન શિવની આરતી ઉતારવી, પ્રસાદ ધરાવવો, પ્રસાદમાં ચૂરમું ધરાવવું અને પ્રસાદ બાળકોમાં વહેંચવો. બીજા દિવસે જે જળ ચઢાવ્યું તે ચરણામૃત રૂપે ઘરના સભ્યો લે, બાકી વધેલાં જળને ફૂલ દ્વારા આખા ઘરમાં છંટકાવ કરવો. આખો મહિનો ૐ રુદ્રાય નમ: મંત્રની એક માળાનો જાપ કરવાથી તે અત્યંત લાભદારી રહેશે.

--- બીજો સોમવાર:
શ્રાવણનો બીજો સોમવાર વિલક્ષણ ફળ આપનાર છે. મનોવાંછિત પતિ કે પત્નીની પ્રાપ્તિ માટે કે કૌટુંબિક કલહ દૂર કરવા, સુખ-શાંતિ માટે, પિતૃદોષ, ગૃહદોષ, ભાગ્યોદય માટે પ્રાત: વહેલા ઊઠીને સ્નાન કરી શુદ્ધ અને સ્વરછ સફેદ વસ્ત્ર ધારણ કરો. એક સફેદ વસ્ત્ર લઇ કંકુથી તેના પર ત્રિશૂલ બનાવી કાર્યસિદ્ધિ યંત્ર સ્થાપિત કરો. યંત્રનું પૂજન અષ્ટગંધ, ધતૂરો, આકડાના ફૂલથી કરવું. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. પૂર્વમુખી બેસી શિવજીનું ઘ્યાન ધરવું. ‘નમ: શભ્ભવાય ચ ભયોભવાય ચ નમ: શંકરાય ચ ભયસ્કરાય ચ નમ: શિવાય ચ શિવતરાય ચ’ મંત્ર કાગળ પર લાલ પેનથી લખી મનોકામના સાથે કાર્યસિદ્ધિ યંત્રની નીચે રાખવો. રોજ ૨૧ વખત મનોકામના કહેવી, ચંદનની પાંચ અગરબત્તીઓ પ્રગટાવવી. મનોરથ અવશ્ય પૂર્ણ થશે.

--- ત્રીજો સોમવાર:
શ્રાવણનો ત્રીજો સોમવાર દુર્લભ અને મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ દિવસે હરિયાળી ત્રીજ આવતી હોય તો તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિ-પત્નીની આવરદા માટે, સંતાન પ્રાપ્તિ, પુત્રની પ્રગતિ અને સફળતા માટે, કન્યાનાં શીઘ્ર લગ્ન અને ઉત્તમ વરની પ્રાપ્તિ માટે, ઘરમાં શાંતિ માટે, કુબેરવ્રત સમદ્ધિ માટે નિત્યક્રિયાથી પરવારીને પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને આસાન પર બેસી જાવ. દહીં, દૂધ, સાકર, ઘી અને ગુલાબ મેળવીને ૐ નમ: શિવાયનો જાપ કરતા પંચામત ચઢાવો. હવે શુદ્ધ પાણીથી ધોઇને શિવલિંગ અને રુદ્રાક્ષને બાજોઠ પર ફૂલોનું આસન બનાવી બિરાજમાન કરો. બીલીપત્ર, બિલ્વ ફળ વગેરે બધી સામગ્રી ૐ નમ: શિવાય મનમાં બોલતાં ચઢાવવી. રુદ્રાક્ષની માળાથી વરદાયી મંત્રની પાંચ માળા અવશ્ય કરવી. ૐ રુદ્રાક્ષ પશુપતિ નમ: મંત્ર જપ્યા બાદ આશુતોષ ભગવાનની આરતી ઉતારવી. ગુલાબનું ફૂલ શિવજીનાં ચરણોમાં શ્રદ્ધાથી સમર્પિત કરવું.

--- ચોથો સોમવાર:
ચોથો અને છેલ્લો સોમવાર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ સોમવારે વિધિ-વિધાનથી પૂજા કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. શત્રુઓને પરાસ્ત કરવા માટે, કોર્ટ-કચેરીમાં પૂર્ણ સફળતા અને ઝડપથી અનુકૂળ ચુકાદા માટે, ભવિષ્યમાં મુશ્કેલી, ભય, અપમાન, અકાળે મૃત્યુ નિવારવા, અકસ્માતથી બચવા, બાળકોના સ્વાસ્થ્ય અને તેમની આવરદા માટે, રોગમુકિત, સુખ-સમૃદ્ધિ માટે, ઘડપણ રોકવા માટે તમે ચોથા સોમવારની પૂજાથી મનોરથ પૂરો કરી શકો છો. શ્રાવણ મહિનામાં પુરાણ વાંચવું લાભકારી છે.રામચરિતના દોહા નં ૧૦૭માં રુદ્રાષ્ટક આપેલ છે. શ્રાવણના ચોથા સોમવારથી તેનો નિત્ય પાઠ કરવો, પૂજામાં શ્રી લક્ષ્મી વિસા યંત્ર સ્થાપિત કરવું, ભગવાન શિવની સાક્ષાત્ કપા પ્રાપ્ત થશે. ઉપરોકત બધી સમસ્યાઓનું નિરાકરણ થઇને બધા મનોરથ પૂર્ણ થશે. શ્રાવણ માસમાં કરેલી શિવ આરાધના અને સોમવારે કરેલ પૂજા-પાઠ ગૃહસ્થો માટે પૂર્ણ સૌભાગ્યનાં દ્વાર ખોલી નાખે છે.

પદાર્થ શિવલિંગના અણમોલ પ્રયોગ:
- ફૂલોથી બનેલા શિવલિંગની પૂજાથી જમીન સંપત્તિ પ્રાપ્ત થાય છે.
- જવ, ઘઉ, ચોખાનો લોટ સરખા ભાગે મેળવીને શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી ધન અને સંતાન આપે છે.
- સાકરથી બનાવેલા શિવલિંગની પૂજાથી રોગોથી છુટકારો મળે છે.
- ખાંડની ચાસણીના શિવલિંગથી સુખ-શાંતિ પ્રાપ્ત થાય.
- દહીંને કપડામાં બાંધી નિચોવીને (મઠ્ઠો) જે શિવલિંગ બનાઓ તેની પૂજાથી લક્ષ્મી અને સુખ પ્રાપ્ત થાય છે.
- ગોળમાં અનાજ ચિપકાવીને બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી કષિ ઉત્પાદન વધુ થશે.
- સુવર્ણ નિર્મિત શિવલિંગ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે.
- ચાંદીના શિવ- લિંગની પૂજા કરવાથી ધન-ધાન્યનીં વૃદ્ધિ થાય.
- પિત્તળનું શિવલિંગ દરિદ્રતા દૂર કરે છે.
- લસણિયા હીરાનું શિવલિંગ વિજય અપાવે છે.
- સ્ફટિકથી બનેલા શિવલિંગનો રુદ્રાભિષેક કામનાઓની પૂર્તિ કરે છે.
- પારાના બનેલા શિવલિંગનું પૂજન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ સાક્ષાત્ શિવસ્વરૂપ છે. તે બધાં પાપો દૂર કરે છે. તેના દર્શન માત્રથી જ સંસારનાં સર્વે સુખો અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ***********************************************************************************
શિવજીને પ્રિય બીલીપત્ર by Divyabhaskar

બિલ્વના ઝાડને સીંચવાથી બધાં તીર્થોનું ફળ અને શિવલોકની પ્રાપ્તિ થાય છે. બીલીપત્ર એક ઔષધી છે. બીલીપત્ર ખાસ કરીને ત્રણ-ત્રણ પાંદડાના સમૂહમાં હોય છે. કેટલાંક પાન પાંચના સમૂહમાં પણ હોય છે, પરંતુ તે બહુ દુર્લભ હોય છે. એવી પણ માન્યતા છે કે શિવજીને બીલીપત્ર ચઢાવવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. બિલ્વના વૃક્ષના મૂળમાં મહાદેવજીનો વાસ છે. શિવપુરાણમાં પણ કહ્યું છે કે, બિલ્વના મૂળમાં લિંગરૂપી અવિનાશી મહાદેવજીનું પૂજન જે પુણ્યાત્મા કરે છે તેનું કલ્યાણ થાય છે. જે વ્યકિત બિલ્વના મૂળમાં જળ ચઢાવે તેને બધાં તીર્થોનું ફળ મળે છે.

બીલીપત્ર અમુક ખાસ દિવસે કે પર્વ પર તોડવાં નહીં. શાસ્ત્રો અનુસાર બીલીપત્ર સોમવાર, તિથિઓમાં ચોથ, આઠમ, નોમ, ચૌદસ અને અમાસ તેમજ સંક્રાંતિના પર્વ પર નહીં તોડવા. જો તમારી પાસે બીલીપત્ર ન હોય તો ચઢાવેલા બીલીપત્રને ધોઇને તમે ફરીથી ચઢાવી શકો છો. રુદ્રાક્ષની માળા જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, અને નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, મુનિઓમાં કશ્યપ અને દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે. તેમ માળાઓમાં રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે.
**************************************************************************************
વંદે શિવં શંકરમ્ by Vaidehi Adhyaru

પરમાત્માની ત્રણ રૂપમાં નિરંતર અભિવ્યક્તિ જગતમાં આપણને જોવા મળે છે. સર્જક, પાલક અને સંહારક. રજોગુણનો આશ્રય લઇને પરમાત્મા સર્જક બને છે ત્યારે ભવ કે બ્રહ્મા કહેવાય છે. સત્ત્વગુણનો આશ્રય લઇને જગતનું પાલન કરે છે ત્યારે વિષ્ણુ કે મડ કહેવાય છે અને તમોગુણનો આશ્રય લઇને સંહારક બને છે ત્યારે હર કે રુદ્ર કહેવાય છે. આ ત્રણે રૂપ મંગળકારી છે. જીવોના કલ્યાણ માટે પરમાત્મા પોતે સર્જક, પાલક અને સંહારક ત્રણે રૂપમાં નિત્ય લીલા કરે છે.

-- શિવ એટલે સત્યમ્ શિવમ્ સુંદરમ્રુદ્ર એ સંહારકના રૂપમાં અભિવ્યક્ત થતા પરમાત્માનું નામ છે. રોદયતિ સર્વ ઈતિ રૂદ્ર સર્વને જે રડાવે છે તે રુદ્ર છે. જગતની સ્થિતિ દરમિયાન ભગવાન રુદ્ર જીવોના પ્રાણ હરી લઇને તેમને રડાવે છે અને પ્રલયકાળે પણ તે સમગ્ર જગતનો કોળિયો કરી જાય છે. શરીર જીર્ણ થાય છે ત્યારે ભગવાન રુદ્ર તેના પ્રાણ હરી લે છે. જીવ નવું શરીર ગ્રહણ કરી પોતાની જીવનયાત્રા આગળ ધપાવી શકે તે માટેની ભૂમિકા તૈયાર કરી આપે છે. ભગવાન રુદ્ર આપણા દેહમાં રહેલા નિયંતા છે એ સમજાવતી તેમની ઉત્પત્તિની કથા વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં આ રીતે મળે છે.

બ્રહ્માજી જગતનું સર્જન કરી રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ તેમણે સનક, સનંદન વગેરે સંતકુમારોને ઉત્પન્ન કર્યા. આ ચાર સંતકુમારો જન્મથી જ જ્ઞાની, વિરકત હતા અને મત્સર વગેરે દોષોથી મુકત હતા. આથી, પિતાજીની સૃષ્ટિના સર્જન વગેરેની પ્રવૃત્તિમાં તેઓ જોડાયા નહીં અને પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તપ કરવા ચાલ્યા ગયા. સંસારરચના પ્રત્યે ઉદાસીન એવા પોતાના પુત્રોને જોઇને બ્રહ્માજીને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો. ત્રણેય લોકને ભસ્મ કરી નાખે તેવા આ મહાન ક્રોધથી ત્રણેય લોક જવાળાઓથી દેદીપ્યમાન થઇ ગયા.

-- શિવજી કરે કામના પૂરી - તે સમયે બ્રહ્માજીની વક્ર ભ્રૃકુટિ તેમજ ક્રોધસંતપ્ત લલાટમાંથી મઘ્યાહ્નના સૂર્ય સમાન તેજસ્વી રુદ્રની ઉત્પત્તિ થઇ. નીલલોહિત (રાતો અને શ્યામ રંગ મળવાથી થતા) વર્ણના રુદ્રે જન્મતાંની સાથે જ રડવા માંડયું. રુદ્ર અગિયાર ભાગમાં વિભકત થયા, જે અગિયાર રુદ્રો થયા. તેમનાં નામ મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ઋતુઘ્વજ, ઉગ્રરેતા, ભવ, કામ, વામદેવ અને ધૃતવ્રત. બ્રહ્માજીએ આ અગિયાર રુદ્રોને શરીરમાં અગિયાર કેન્દ્રોમાં સ્થાન આપ્યાં : પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન.

ભગવાન રુદ્રનાં બે રૂપો છે : ઘોર રૂપ અને શિવ રૂપ. ઘોર રૂપથી તે દુષ્ટોનો સંહાર કરે છે અને શિવ રૂપથી ભકતો પર અનુગ્રહ કરે છે. આમ તો ભગવાન બધા પર અનુગ્રહ જ કરતા હોય છે, પરંતુ જુદી જુદી પ્રકતિના લોકો પર અનુગ્રહ કરવાની તેમની રીત જુદી જુદી જણાય છે. દુષ્ટોને સજા કરવામાં કે સંહાર કરવામાં ભગવાનની ક્રૂરતા નથી. તે દ્વારા ભગવાન તેમને પોતાના હિતમાં જોડવા માગે છે. ભક્તો પર અનુગ્રહ કરવામાં પણ સંહાર તો રહેલો હોય જ છે. તેમની આઘ્યાત્મિક સાધનાના માર્ગમાં આવતા પ્રતિબંધોનો સંહાર અને છેવટે સર્વ ગ્રંથિઓ સહિત અજ્ઞાનનો સંહાર.

આ જ પરમાત્મા જયારે સંસારમાં ભટકીને થાકેલા જીવોને વિરામ આપવા જગતને પોતાનામાં સમાવી લે છે ત્યારે ‘હર’ કહેવાય છે. જીવોને ભોગ ભોગવવા માટે જગતનું સર્જન કરે ત્યારે ‘ભવ’ કહેવાય છે. સૃષ્ટિકાળ દરમિયાન સર્વનું પાલન કરતા હોય છે ત્યારે ‘મડ’ કહેવાય છે.

-- દેવાધિદેવ મહાદેવનો મહિનો - શિવલિંગ એ પ્રભુના સગુણ સ્વરૂપનું પ્રતીક છે અને નિર્ગુણ સ્વરૂપનું બોધક છે. આ વિશ્વને બ્રહ્માંડ કહેવામાં આવે છે કારણ કે તેનો આકાર અંડ જેવો છે. શિવલિંગ આ બ્રહ્માંડનું પ્રતીક છે. જેમાં સર્વ નામ-રૂપ સમાયેલાં છે. વળી, શિવલિંગનો આકાર અગ્નિશિખાનો પણ સૂચક છે. અગ્નિની જવાળા હંમેશ ઊર્ધ્વમુખી હોય છે, અંધકારનો નાશ કરનારી હોય છે, તેમ શિવજી પણ ભકતનાં પાપો અને અશુદ્ધિઓનું દહન કરીને ભસ્મ કરી નાખે છે. આશુતોષ- ઝડપથી ખુશ થઇ જાય તેવા આડંબરરહિત છે. માત્ર જળ ચઢાવવાથી પ્રસન્ન થઇ જાય છે. સ્તુતિ કરવાથી ગમે તેવા અપરાધને પણ ક્ષમા કરે છે. શીઘ્ર પ્રસન્ન થઇને દોષો અને પાપોને દૂર કરી ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જ્ઞાન, વિજ્ઞાન તથા સ્વયં પોતાની જાતને આપી દઇ એ પોતાનાં નામોની સાર્થકતા સૂચિત કરે છે.
****************************************************************************************
શ્રાવણ સુધા by Parmanand Gandhi

કોઈ પણ આપણને બળદિયા જેવો કહે તો તે આપણને ગાળ લાગે છે. આપણું અપમાન થયું એમ લાગે છે. અને તે બળદનું સ્થાન ભગવાન શિવજીના મંદિરમાં! તેમાં ય વળી પહેલાં નમસ્કાર, પહેલું પૂજન તે બળદનું અને પછી ભગવાન શિવજીનું પૂજન!!

પરંતુ ‘સ્વ’માં કેન્દ્રિત થયેલાં માનવી ભૂલી જાય છે કે એ બળદના માનવજાત ઉપર અનંત ઉપકાર છે. માનવજાત તેની ઋણી છે.
ભગવાન શિવજી જ્ઞાનનું પ્રતીક છે. અને બળદ-પોઠિયો-નિષ્કામ કર્મયોગનું પ્રતીક છે. સમાજમાં જ્ઞાનનું વહન નિષ્કામ કર્મયોગી જ કરી શકે ને? અને જેણે પોતાના જીવનમાં ગીતાનો કર્મયોગ વણી લીધો, લોક કલ્યાણ માટે પ્રભુકર્મ માટે જેણે પોતાના હાડકાનું ‘ખાતર કર્યું- લોહીનું ટીપેટીપું ખરયું તેને ભગવાન પોતાની પાસે ન લે?


આવા કર્મયોગીને જ ભગવાન પોતાનું, પોતાના જ્ઞાનનું, વિચારોનું વાહન બનાવે. આ બળદને જ પોઠિયાને ભગવાને પાસે લીધો. તેને પાર્ષદ તો બનાવ્યો જ પણ તેનું હુલામણું નામ નંદિ રાખ્યું. નંદિ એટલે આનંદ જેના જીવનની બેઠકમાં આનંદ હોય તેના ઉપર જ ભગવાન બેસેને? ત્યાં જ ભગવાન સુસ્થિર થાય ને!

નંદિ- ભગવાન શિવજીનો પોઠિયો જીવનને આનંદમ્ય બનાવવાની પ્રેરણા આપે છે. ભગવાનનું પશુસૃષ્ટિ જોડે તા દાત્સ્યતું પ્રતીક એટલે નંદિ અવિરત કર્મયોગનું પ્રતીક એટલે નંદિ.

ભગવાન શિવજીની ઉપાસના કરીએ ત્યારે આપણે પણ નંદિ પાસેથી પ્રેરણા લઈ પ્રભુના વિચારોનું વહન કરનાર કર્મયોગી બનવાનો સંકલ્પ કરીએ.

****************************************************************************************
સિદ્ધનાથ મહાદેવ by Pravin Patel

શ્રાવણમાસમાં હજારો કાવડિયાઓ જલાભિષેક કરવા દૂર દૂરથી કાવડમાં જળ ભરીને પગપાળા આવે છે. આ મંદિર સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું પાણી શિવલિંગમાં સતત આવે છે. જેને ‘ગુપ્તગંગા’ કહે છે. શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે આ જળ લઇ જાય છે.

સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં કુવાદ ગામમાં સરસ ગામ નજીક ‘સિદ્ધનાથ મહાદેવ’નું એક અતિ પ્રાચીન મંદિર છે. જે સુરતથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ છે. જેનો મહિમા શ્રાવણ માસમાં અનેરો છે. શ્રાવણમાસ દરમિયાન રુદ્રાભિષેક કરવા માટે હજારો યાત્રાળુ દૂર દૂરથી અહીં આવે છે.

શ્રાવણમાસના દર સોમવારે હજારો કાવડિયાઓ જલાભિષેક કરવા દૂર દૂરથી કાવડમાં જળ ભરીને પગપાળા આવે છે. આ મંદિરની ઐતિહાસિક કથા મુજબ આ જગ્યા ઉપર પ્રાચીન સમયમાં હેડંબા વન હતું. જેમાં ગોકર્ણ ઋષિનો આશ્રમ હતો. જંગલમાં આશ્રમની ગાયો ચરવા જતી ત્યારે એક ટેકરી ઉપર ગાયના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ વહેતી હતી. એક રાત્રે ગૌકર્ણ ઋષિને સપનું આવ્યું અને તપ કરતા શિવલિંગ પ્રગટ થયું હતું. જે તે સમયના ગાયકવાડી રાજા દામાજીરાવ ગાયકવાડે પોતાની માનતા પૂરી થતાં અહીં મંદિર બનાવ્યું. બાદ કેટલાક લુટારુઓએ શિવલિંગમાં ધન છુપાવ્યું હોવાની શંકાથી હુમલો કર્યો. શિવલિંગ ઉપર ભાલા -કુહાડીથી હુમલો થતા લિંગમાંથી શંકર ભગવાનના સ્વરૂપે નીકળેલા ભમરાએ લુટારુઓને ભગાડયા હતા. મંદિરની બહાર કુંડ છે, ત્યાં ભગવાન રામે યજ્ઞ કર્યો હોવાનું પણ કહેવાય છે.

શ્રાવણના દર સોમવારે મેળો તથા માગશર સુદ અગિયારસના દિને મોટો મેળો અહીં ભરાય છે, જે રાત્રે ઘીનું મોટું કમળ શિવલિંગ ઉપર તૈયાર કરવામાં આવે છે. આ દિવસોએ મોટો માનવ મહેરામણ ઊમટે છે. મંદિરની બાજુમાં જ મોટી ધર્મશાળા છે.
*************************************************************************************