Friday, March 27, 2009

Gudi Padva & Chaitra Navratri - March 27, 2009

નવ વર્ષારંભ ગૂડી પડવો - Parv Vishesh, Parmanand Gandhi

સૃષ્ટિ નિર્માણના કાર્યનો પ્રારંભ આ દિવસે થયો, તેથી વૈશ્વિક ઇતિહાસની દ્રષ્ટિએ આ દિવસનું આગવું મહત્ત્વ છે. ‘ચૈત્ર માસના પ્રથમ દિવસે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી.’ - બ્રહ્મપુરાણ

આપણા નવા વર્ષનો પ્રારંભ ચૈત્ર સુદ એકમથી થાય છે. તે નવા વર્ષનો પહેલો દિવસ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે. ગૂડી પડવાનો તહેવાર પ્રાચીન કાળથી પ્રચલિત છે અને વેદાદિ શાસ્ત્રોમાં તેના મહત્ત્વનું વર્ણન છે.

ચૈત્ર માસના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સષ્ટિની રચના કરી. ભગવાન વિષ્ણુએ ચૈત્ર શુકલની પ્રતિપદાના દિવસે મત્સ્યરૂપમાં અવતાર ધારણ કર્યો હતો. સષ્ટિ નિર્માણના કાર્યનો પ્રારંભ આ દિવસે થયો.

તેથી, અને સૃષ્ટિ સંરક્ષક પ્રભુએ સંસારના પરિત્રાણ માટે મત્સ્યરૂપમાં પહેલો અવતાર લીધો તેથી વૈશ્વિક ઇતિહાસની દ્રષ્ટિએ પણ આ દિવસનું આગવું મહત્ત્વ છે. તે દિવસે સૂર્યોદય સમયે જે વાર હોય તે વાર વર્ષનો રાજા ગણાય તેવો ઉલ્લેખ સ્કન્દ પુરાણમાં છે.

તે દિવસે પ્રથમ બ્રહ્માજીનું પૂજન કરવાનું હોય છે. તે માટે વસ્ત્રાચ્છાદિત બાજઠ ઉપર અક્ષતોનું અષ્ટદલ બનાવી તેના ઉપર યથાવિધિ કળશ સ્થાપના કરી ગણપતિની સાથે બ્રહ્માજીનું ષોડશોપચારથી પૂજન કરવાનું. પૂજન કરી અનેક દેવદેવતાઓને નમસ્કાર કરી. વિષ્ણુ ભગવાનની સ્થાપના કરી વિધિયુકત પૂજન કરવાની પ્રણાલિકા હજુ કેટલાંક સ્થળોમાં પ્રચલિત છે. પૂજન પછી પંચાંગનું (આજે ચૈત્રી પંચાંગ તરીકે પ્રચલિત છે.) શ્રવણ કરી નિવાસસ્થાનો ઘ્વજા પતાકાથી સુશોભિત કરી ઘ્વજારોપણ કરવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં ગૂડી પડવાનો ઉત્સવ વધુ પ્રચલિત છે. એમ કહેવાય છે કે આ જ દિવસે પ્રભુ રામચંદ્રે વાલીના ત્રાસમાંથી લોકોને મુકત કર્યા તેથી તેની ખુશાલીમાં પ્રજાએ ઘરે ઘરે ગૂડી (ઘ્વજારોપણ) ઊભી કરી ઉત્સવ ઊજવ્યો. તેથી ગૂડી પડવો નામ પ્રચલિત થયું.

શક સંવત્સર - બીજી પણ એક કિંવદંતી પ્રચલિત છે કે શકોએ હુમલો કર્યોતે સમયમાં લોકો સાવ ચેતનહીન, પરાક્રમશૂન્ય અને હતોત્સાહિત બન્યા હતા. આવી નિર્માલ્ય પ્રજા, શકોને યુદ્ધમાં કયાંથી પરાજિત કરી શકવાની હતી? ત્યારે શાલિવાહને આવા લોકોમાં ચૈતન્ય પ્રકટાવ્યું, સૈન્યમાં પ્રાણ પૂર્યા. Aemu પૌરુષ જાગૃત કરી શકોનો પરાભવ કર્યો. તેથી આજે પણ આપણે શાલિવાહનના તે કતૃર્ત્વને યાદ કરી શક તરીકે વર્ષની ઉજવણી કરીએ છીએ અને નવા વર્ષનો પ્રારંભ કરીએ છીએ.

આયુર્વેદિક મહત્ત્વ - ચૈત્ર માસથી ગરમીની શરૂઆત થતી હોવાથી ઋતુજન્ય ગડગૂમડ, અળાઇ તથા ચર્મરોગથી બચવા લીમડાનું સેવન પથ્યકર ગણાયું છે અને દસ સુધી નિયમિત લીમડાનું સેવન, ઉનાળાના ઋતુજન્ય રોગોથી રક્ષણ કરે છે.

તાત્ત્વિક દ્રષ્ટિ - જીવનમાં દરેકે કડવા ઘૂંટડા પણ પીવા પડશે. તે માટે લીમડાનું સેવન કરતી વખતે તેની પણ માનસિક તૈયારી રાખવી. એટલે દુ:ખી ન થતાં હસતાં હસતાં તે પી જવા એ જ હિતાવહ છે. પ્રભુ રામચંદ્રજીની જેમ આપણા જીવનમાં નિર્માણ થતી આસુરી વૃત્તિ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે.

આજના શુભ દિને શુભ સંકલ્પ કરી તે પૂરો કરવાનું સામથ્ર્ય પ્રભુ આપણને આપે-એ ભાવનાથી નૂતનવર્ષના આ માંગલિક પ્રસંગની ઉજવણી કરીએ.

***************************************************************************************
શક્તિ જાગરણનું પર્વ ચૈત્રી નવરાત્રિ - Sunil A. Shah

ચૈત્ર નવરાત્રિમાં વિધિવત દુર્ગા સપ્તશતીનો શ્રદ્ધાભાવથી પાઠ કરવાથી માદુર્ગાની કપાથી શક્તિઓ જાગૃત થવાથી મનવાંછિત ફળ અવશ્ય મળે છે.


નવરાત્રિ એટલે શક્તિ આરાધનાનું પર્વ. આમ તો વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે પરંતુ આપણે ત્યાં બે નવરાત્રિ મનાવવાની પરંપરા છે. એક ચૈત્ર માસમાં વાસંતિક અને બીજી આસો માસમાં શારદીય નવરાત્રિ.

વર્ષની બંને નવરાત્રિ શક્તિપૂજન, શક્તિ સંવર્ધન અને શક્તિ સંચય માટે ખૂબ જ ઉપયોગી છે. ભગવાને આપણા શરીરમાં જે વિશેષ શક્તિઓ આપી છે તેના છ પ્રકારનાં ચક્ર છે. છ પ્રકારનાં ચક્રનાં દ્વાર ખોલ્યા પછી જે મહાન શક્તિને જાગવાનો અવસર મળે છે તેને કુંડલિની શક્તિ કહે છે. તે વિધુતમય પરાશક્તિ છે.

સુધાંશુજી મહારાજના કથન અનુસાર શરીરની સંપૂર્ણ શક્તિઓનો આધાર કુંડલિની જ છે. જે શરીરની સમસ્ત ઊર્જાને ધારણ કરી સર્પાકારે કરોડની બરાબર નીચે સુષુપ્ત અવસ્થામાં વિધમાન છે. તે છે કેન્દ્રીભૂત પ્રાણશક્તિ. જે જાગૃત થવાથી માણસ અલૌકિક શક્તિઓની ચાવીને પ્રાપ્ત કરે છે.

અનેક મહાપુરુષોઐ પોતાની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી છે. નામદેવ ઘ્યાનમાં બેસી સ્વયં જાગૃત થઇ ગયા. દાદુદયાલ ભજન અને સેવા કરતા પોતે સ્વયં જાગૃત થઇ ગયા. મીરાંબાઇ નાચગાન કરીને પ્રભુને સમર્પિત થઇ ગયાં. ગોરખનાથ સાધના કરતાં કરતાં પોતાની શક્તિને જાગૃત કરીને યોગી ભર્તુહરિ કહેવાયા. ચૈતન્ય મહાપ્રભુજી પ્રેમભકિતથી પ્રભુમય બની ગયા.

મા દુર્ગાની ઉપાસના કરવાથી માની કૃપાથી સાધકમાં કુંડલિની શક્તિ જાગૃત થઇ જાય છે. જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવે છે. આમ બ્રાહ્મી શક્તિ એ સૃષ્ટિ શક્તિ તથા ક્રિયા શક્તિ છે. કૌમારી શક્તિ એ અસુર વિજયી શક્તિ છે. માહેશ્વરી શક્તિ એ જ્ઞાન શક્તિ છે. વૈષ્ણવી શક્તિ એ પાલક શક્તિ છે. વારાહી શક્તિ એ આધાર શક્તિ છે. નારસિંહી શક્તિ એ આત્મસ્વરૂપ જ્ઞાન શક્તિ છે. ચામુંડા શક્તિ એ સ્વપ્રકાશ શક્તિ છે.

શક્તિ અને શકત બંને સૃષ્ટિનું સાચું કારણ છે શક્તિઓનું જ્ઞાન મેળવો. શક્તિઓની કૃપાથી જ જીવનમાં અદભૂત ચમત્કારો થશે. ચૈત્ર નવરાત્રિમાં વિધિવત દુર્ગા સપ્તશતીનો શ્રદ્ધાભાવથી પાઠ કરવાથી માદુર્ગાની કપાથી શક્તિઓ જાગૃત થવાથી મનવાંછિત ફળ અવશ્ય મળે છે. એમાં જરા પણ સંદેહ નથી.

આધશક્તિ સાંસારિક દુ:ખોના કળણમાં (દલદલ) ફસાયેલી વ્યકિતને તેમાંથી નિકાળી સુખ, શાંતિ અને મુકિત આપે છે. એથી એની કપા મેળવવા માટે તેની ઉપાસના કરવી જોઇએ. તે સ્વયં એક અને અદ્વિતીય હોવા છતાં પણ પોતાના ભકતોનું કલ્યાણ કરવા માટે નવદુર્ગાના રૂપે પ્રગટ થાય છે. ખરેખર તો તે સંસારનાં પ્રાણીઓને દુર્ગતિથી નિકાળે છે, એથી ‘દુર્ગા’ કહેવાય છે. તેથી તેનાં નામ અને રૂપ અનેક છે.

નવરાત્રિ દરમિયાન પ્રાત:કાળે ઊઠીને માતાજીનું સ્થાપન અથવા તો જયાં યંત્રની સ્થાપના કરી હોય ત્યાં આસન ઉપર બેસીને માતાજીને આહ્વાન કરવું. ત્યાર બાદ જળ ભરેલા કુંભમાં ચંદન, ચોખા, અબીલ, ગુલાલ, હળદર, સિંદૂર, સોપારી તથા સવા રૂપિયો પધરાવવા. કુંભના મુખ પર નાગરવેલનાં પાન ફરતે મૂકીને તેની વરચે શ્રીફળ મૂકવું અને માતાજીની મૂર્તિ પાસે કુંભ મૂકી તેનું પૂજન દરરોજ કરવું. ત્યારબાદ માતાજીના સન્મુખ દીવો, અગરબત્તી કરી માતાજીનાં ગરબા-સ્તુતિ ગાઇને માતાજીને પોતાને ત્યાં પધારવા આજીજી કરવી.

આ નવ દિવસ દરમિયાન બની શકે તો ઉપવાસ અથવા મીઠા વિનાનું ભોજન લઇને એકટાણું કરવું. નવ દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું. નિત્ય આરતી કરી માતાજીને નૈવેદ ધરાવવો. તેમજ સાત્ત્વિક પ્રવૃત્તિઓ કરવી જેવી કે ધર્મગ્રંથોનું વાંચન, મંત્રલેખન વગેરે. શકય હોય તો દરરોજ એક કુંવારિકાને ભોજન કરાવી, વસ્ત્ર કે આભૂષણ અર્પણ કરી તેને પ્રસન્ન કરવી.
પૂણાર્હુતિ સમયે પ્રાત:કાળમાં પૂર્વાભિમુખ બેસી મંત્ર જાપ કરવા. તેમજ નાની બાળાઓને ભોજન કરાવવું. જીવનને કર્તવ્યપરાયણ બનાવવાનો દ્રઢ સંકલ્પ કરવો. ઘણા જાતકો છેલ્લા દિવસે હવન કરીને આસુરી વત્તિઓને તેમાં હોમી દેવીશક્તિ પ્રાપ્ત કરી પોતાનું જીવન સાર્થક બનાવે છે.

ચૈત્ર સુદ એકમ, ચૈત્રી નવરાત્રિ : નવરાત્રિ એટલે શકિત-આરાધનાનું પર્વ. ચૈત્ર માસમાં વાસંતિક અને બીજી આસો માસમાં શારદીય નવરાત્રિ. વર્ષની બંને નવરાત્રિ શકિતપૂજન, શકિત સંવર્ધન અને શકિત સંચય માટે ખૂબ જ ઉપયોગી છે.
*******************************************************************************